કોઈ પણ સ્વાદિષ્ટ વાનગી જોઈને આપણા મોંમાં પાણી આવે છે. મોંમાં ઉત્પન્ન થતું પાણી કે લાળ ખોરાકના પાચન માટે જરૃરી છે. મનુષ્યનું આ સામાન્ય વર્તન છે, પરંતુ માત્ર વાનગી જ નહિ પણ વાનગીની તસવીરો જોવાથી, સુગંધ આવવાથી કે વાત સાંભળવાથી પણ મોમાં પાણી આવે. દરરોજ નિયમિત ૧૨ વાગે જમવા બેસનારને બારના ટકોરે મોમાં પાણી આવે. આમ મોમાં પાણી આવવાની ક્રિયા કેટલીક શરતોને આધિન શારીરિક છે. આ વર્તનની શોધ ઇવાન પાવલોવ નામના વિજ્ઞાનીએ કરી હતી. આ શોધથી માણસના વર્તન સંબંધી અનેક સંશોધનો સરળ બન્યા હતા. પાવલોવને આ શોધ બદલ ૧૯૦૪માં મેડિસીનનું નોબેલ ઇનામ મળેલું.
ઇવાન પાવલોવનો જન્મ ઇ.સ. ૧૮૪૯ના સપ્ટેમ્બરની ૧૪ તારીખે રશિયાના રિયાઝાન ગામમાં થયો હતો. બાળપણમાં તેને ગંભીર ઇજા થતા હંમેશા ઘરમાં માતાપિતાની દેખરેખમાં રહેતો તે દરમિયાન તેને પ્રકૃતિનો અભ્યાસ કરવાનો રસ જાગ્યો.
ઇવાનના પિતા ખ્રિસ્તી પાદરી હતા. ઇવાનને ૧૦ ભાઈબહેનો હતા. ઇવાનને તે બધાની સેવા કરવી ગમતી ૧૧ વર્ષની ઉંમરે સાજા થયા બાદ પાવલોવને સ્થાનિક ચર્ચ સ્કૂલમાં ભણવા મૂક્યો ત્યારબાદ સેન્ટ પિટસબર્ગની યુનિવર્સિટીમાં માનસશાસ્ત્રનો અભ્યાસ કરવા જોડાયો. પેનક્રિયાસ અને મગજ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરીને તેણે કેટલાક તારણો કાઢયા. તેને આ સંશોધન બદલ યુનિવર્સિટી એવોર્ડ મળેલો. ત્યારબાદ ઘણી શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરી છેલ્લે મેડિકલ મિલિટરી એકેડેમીમાં જોડાયો.
કૂતરાના મોમાં ખાવાનું જોઈને લાળ આવતી હોય છે. પાવલોવે કૂતરાને ખાવાનું આપતી વખતે ઘટંડી વગાડવાનો પ્રયોગ કર્યો. થોડા સમય પછી ખાવાનું ન હોય તો પણ ઘંટડીનો અવાજ સાંભળી કૂતરાના મોમાં લાળ આવતી. પાવલોવે કરેલો આ પ્રયોગ વિશ્વ પ્રસિદ્ધ બન્યો. શારીરિક ક્રિયાઓ કેટલીક બાહ્ય શરતો સાથે જોડાયેલી હોવાનું તેણે સાબિત કર્યું. સતત ૧૨ વર્ષ સુધી પાચન ક્રિયા અને મગજ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરીને તે વિશ્વપ્રસિદ્ધ થયો.
નોબેલ ઇનામ ઉપરાંત પાવલોવને કોયલી એવોર્ડ જેવા અનેક સન્માનો પ્રાપ્ત થયેલાં. જો કે, પાવલોવનું જીવન ગરીબ સ્થિતિમાં પસાર થયેલું. ઇ.સ. ૧૯૩૬ના ફેબ્રુઆરીની ૨૭ તારીખે પાવલોવનું અવસાન થયું હતું.
No comments:
Post a Comment