પંડિત ઓમકારનાથ ઠાકુર
૧૮૯૭ - ૧૯૬૭
ખંભાત પાસે જહાજ નામનું દરિયાકાંઠે વસેલું નાનકડું ગામ છે. એ પંડિતજીનું જન્મસ્થાન. તેમના પિતા ગૌરીશંકર અને માતા ઝવેરબાની સ્થિતિ અત્યંત નબળી. બાળકનો કંઠ નાનપણથી અત્યંત બુલંદ અને સુમધુર. આરંભે તેનું નામ ગિરિજાદત્ત પાડવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિક શિવમંદિરમાં બાળ ગિરિજાદત્ત બુલંદ અવાજે ઓમકારસ્તુતિ ગાતા એ સાંભળીને બનારસથી આવેલા એક સાધુએ તેમને ઓમકારનાથ નામ આપ્યું, જે ભારતીય સંગીતના માધ્યમથી આજે અમર થઈ ગયું છે.
અવાજ સુમધુર હોવા ઉપરાંત ઓમકારનાથ બાળપણથી જ સંગીતની તીવ્ર અભિરુચિ હતી. ઢોલ, નગારા, તબલાં, ઝાલર જેવા મંદિરના વાદ્યો તેઓ સુંદર રીતે વગાડતા એ જોયા પછી ભરૃચના એક પારસી શ્રીમંતે પં. વિષ્ણુ દિગંબર પાસે ગાંધર્વ સંગીત વિદ્યાલયમાં મોકલ્યા. ઓમકારનાથ માટે એ પ્રસંગ જીવન પરિવર્તન કરનારો નીવડયો.
ગાંધર્વ વિદ્યાલયનો ૯ વર્ષનો અભ્યાસક્રમ ઓમકારનાથે માત્ર ૫ વર્ષમાં પૂર્ણ કર્યો. સંગીતના વિદ્યાર્થી તરીકે અત્યંત શિસ્તબદ્ધ હોવા ઉપરાંત તેઓ વિદ્યાલયની વ્યવસ્થામાં પણ પોતાનું યોગદાન આપતા હતા આથી પં.વિષ્ણુના પ્રીતિપાત્ર હતા. અભ્યાસ પૂર્ણ થયા બાદ ઓમકારનાથને વિદ્યાલયના આચાર્ય તરીકે નિમવામાં આવ્યા.
પંડિતજીની ગાયકી ગ્વાલિયર ઘરાણાની હોવા છતાં તેમણે તાનપલટામાં અને આલાપમાં અન્ય ઘરાણાઓની વિશેષતાઓનો પણ આબાદ ઉપયોગ કર્યો હતો. તેઓ ઉત્તમ દરજ્જાના ખયાલ ગાયક હોવા ઉપરાંત ઠુમરી, ધુ્રપદ અને ભજનગાયક તરીકે પણ વિખ્યાત હતા. તેમના ભજનો 'મૈયા મોરી મૈં નહિ માખન ખાયો' અને 'જોગી મત જા..' આજે ય સંગીતરસિયાઓમાં બેહદ પ્રિય ગણાય છે.
પંડિતજીએ સંગીતસાધનાના દરેક સ્તરે પ્રદાન કર્યું છે. આચાર્ય તરીકે તેમણે સંગીતના શિક્ષણને સુગ્રથિત કર્યું તેમજ સંગીતાંજલિ, સ્વરશાસ્ત્ર, રાગશાસ્ત્ર, પ્રણવભારતી જેવા પુસ્તકો પણ લખ્યા છે.
પંડિતજીના શિષ્યો શિવકુમાર શર્મા, બળવંતરાય ભટ્ટ, અતુલ દેસાઈ, યશવંત દેસાઈ વગેરેએ તેમની બુલંદ ગાયકીની પરંપરાને આગળ ધપાવી હતી.
૨૯ ડિસેમ્બર, ૧૯૬૭ના રોજ પંડિત ઓમકારનાથ ઠાકુરનો દેહવિલય થયો હતો. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને નામના અપનાવનાર તેઓ પ્રથમ સંગીતજ્ઞા હતા. તેમની સ્મૃતિમાં પ્રતિ વર્ષ ઓમકારનાથ સંગીત સ્પર્ધાનું આયોજન થાય છે.
No comments:
Post a Comment